Read Blog in other languages like - Hindi, English

Thursday, 26 January 2023

ધર્મ - ગુરુ

 ધર્મ - ગુરુ 


ધર્મ , ગુરુ અને ધર્મગુરુ આમતો આ ત્રણેય જુદા છે.  હમણાં હમણાં ધર્મગુરુઓ બાબતે કેટલોક વિવાદ ચાલી રહ્યો છે. એમાં તો આપણે નથી પડવું પરંતુ ધર્મ અને ગુરુ બાબતે વિચારો ની કેટલીક સ્પષ્ટતા કરીયે.  

કબીરે કીધું છે -" ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય 

બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય.  "


એટલે કે ગુરુ મોટા કે ઇષ્ટદેવ મોટા ?  હવે એજ દોહા માં એનો જવાબ છે કે ગુરુ નો ઉપકાર મોટો કારણ કે ગોવિંદ સાથે  ઓળખાણ તો ગુરુ એ જ કરાવી.  ગોવિંદ સાથે ઓળખાણ એટલે પ્રભુ નો પરિચય.  ધર્મગુરુ એ વ્યક્તિ હોય છે જે તમને ધર્મ નું જ્ઞાન આપે છે , ઈશ્વર નું જ્ઞાન આપે છે.  કોઈ પણ પંથ વિશેષ કે ધર્મ વિશેષ ગુરુ તેમના ધર્મ વિશે તમને જણાવે છે.  એ ધર્મ ગુરુઓ તેમના ઇષ્ટ દેવ ની મહત્તા સમજાવે છે.  આપણે શા માટે તેમને અનુસરવું જોઈએ તે પણ સમજાવે છે.  આ સદીઓ થી ચાલી આવતી પ્રથા છે.  આપણે સૌ એ બધું જોતા અનુભવતા આવ્યા છીએ.  

આપણે આપણી માન્યતા અનુસાર કોઈપણ એક ધર્મ કે પંથ ને અનુસરતા હોઈએ છીએ - સામાન્ય રીતે આપણા ઘર ની રૂઢિ પ્રમાણે ઘર માં જે ધર્મ નું આચરણ થતું આવ્યું હોય એને આપણે પણ અનુસરવા લાગીયે છીએ.  એટલે કે આપણી કોરી પાટી પર જે અંકિત થતું જાય એ આપણે માનીને ચાલીયે છીએ. અને સ્વાભાવિક જ એ જ ધર્મ / પંથ ના ગુરુઓ ના સંપર્ક માં આપણે આવીયે છીએ અને એમનું કીધેલું સાંભળીયે છીએ એટલે એમની બનાવેલી છબી અને એમની આપેલી માન્યતા ઓ ને આધારે આપણા મનની અંદર માન્યતા ઓ બને છે.  એનો મતલબ એવો થયો કે આપણા મન માં ભગવાન વિશે નું જે ચિત્ર હોય તે ગુરુ એ દોરેલું હોય છે.  વાત તો એની એ જ આવી જે કબીરે કહ્યું - ગુરુ એ ગોવિંદ બતાવ્યો.  

જયારે તમે ઘરની રૂઢિ થી એક પંથ ને અનુસરો છો ત્યારે કોઈ ખાસ ગુરુ ની મદદ વગર માત્ર પરંપરા નું પાલન કરો છો.  સામાન્ય રીતે આપણા સૌ ના ઘરો માં એવું થતું આવ્યું હોય કે નાનપણ થી જ આપણને કોઈ એક ધર્મ ને અનુસરવાનું શીખવવામાં આવે છે.  એવું સમજો કે આપણા વડીલો જ આપણા ગુરુ હોય છે જે આપણને ઈશ્વર ની ઉપાસના કરતા શીખવે છે.  અને આપણે પણ કોઈ જ વિરોધ વગર એ બધા સાથે અનુકૂળ થતા રહીયે છીએ.  આપણી આસપાસ મોટાભાગ ના લોકો આ જ રીતે પોતાના જીવન માં ધર્મ કે પંથ ને સ્થાન આપતા હોય છે.  અને પોતાના ધર્મ બાબતે પોતાના વિચારો અમુક નિયમો માં રહીને સીમિત કરી દેતા હોય છે. એટલે કે ધર્મ ગુરુઓ એ જણાવેલ માહિતી ને આધીન રહીને જ ધાર્મિક ક્રિયાઓ અને જ્યાં અસર કરે છે ત્યાં સામાજિક ક્રિયાઓ પણ કરે છે.  પરંતુ જયારે કોઈ ગુરુ ના સંપર્ક માં આવીને એમના વિચારો થી પ્રભાવિત થઈને એમણે જણાવેલ પંથ નું અનુસરણ કરો છો તો એ તમારી પોતાની વિચારસરણી અને બુદ્ધિમત્તા અનુસાર લીઘેલો નિર્ણય હશે.  દરેક વ્યક્તિ ની ખાવા પીવાની જીવન જીવવાની પોતાની પસંદગી હોય છે એવી જ રીતે ધર્મ ની બાબત માં એવું બની શકે કે કોઈ એક ગુરુ / ધર્મગુરુ ની વાત થી તેઓ એટલા પ્રભાવિત થાય કે આપોઆપ તે એમને અનુસરવા લાગે.  મહાવીર સ્વામી અથવા ભગવાન બુદ્ધ જેટલા સંવેદનશીલ અને પ્રબુદ્ધ વ્યક્તિ બધા ન થઇ શકે એટલે કે બધા પોતે જ બુદ્ધ થઇ શકે એટલા જ્ઞાની ન જ હોઈ શકે. અરે પોતાને જ જ્ઞાન પ્રાપ્તિ તો દૂર રહી પણ મોટાભાગના લોકો ને તો પ્રશ્નો ઉદ્દભવતા પણ નથી હોતા.  અને એટલા માટે કાંઈ લાબું વિચાર્યા વગર આપણા સમાજ માં 'આગે સે ચલી આતી હે ' ની પરંપરા ચાલતી રહે છે.  

સ્વામી વિવેકાનંદ ના જીવન વિશે આપણે જાણીયે છીએ તેમ તેઓ બાળપણ થી જ અસાધારણ બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા.  ઈશ્વર વિશે આપણી માફક એમને પણ  ઘર માંથી જ્ઞાન મળ્યું પરંતુ  જે જ્ઞાન મળ્યું એનાથી એમનું જીવન વ્યતીત કરવાના બદલે  એમની જિજ્ઞાસા માં વધારો થયો અને એમણે પોતાને સતાવતા કેટલાક પ્રશ્નો નો ઉત્તર મેળવવા અનેક ગુરુઓ ને મળવાનું શરુ કર્યું.  અને એમની શોધ પુરી થઇ શ્રી રામકૃષ્ણ પરમહંસ માં.  એવું કહેવાય છે કે શ્રી રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ ને ઈશ્વર દર્શન કરાવ્યા હતા.  વિવેકાનંદ તો પોતે જ એટલા વિચક્ષણ હતા કે ગુરુ જ્ઞાન મળ્યા બાદ પોતાની આધ્યાત્મિકતા માં પોતે જ વધારો કર્યો.  આજે આપણે સૌ એમને અનુસરવા લાગ્યા છીએ.  ત્યાં સુધી કે શ્રી રામકૃષ્ણ પરમહંસ ની ઓળખ પણ વિવેકાનંદ ના ગુરુ તરીકે કરવામાં આવે છે.  

અહીં મહત્વ ની બાબત મને એ જણાય છે કે શ્રી રામકૃષ્ણ પરમહંસ કેટલા નિર્લેપ , નિર્મોહી છે કે એમને એમના શિષ્ય ને જ્ઞાન આપીને આ ભવસાગર માં તરતો મૂકી દીધો.  એમણે એવી ખેવના ન કરી કે વિવેકાનંદ એમના પગ પકડી ને એમના ચરણો માં જીવન વ્યતીત કરે, રોજ એમની પૂજા કરે, રોજ એમના ગુણગાન ગાય.  ખરા ગુરુ એ જ હોય છે જે શિષ્ય ને રસ્તો બતાવે છે , આગળ ચાલવાનું શીખવે છે પ્રોત્સાહિત કરે છે.  પોતાની પૂજા કરાવવા ની ઈચ્છા રાખે એ ઈશ્વર સુધી આપણને કેમ પહોંચવા દે. 

આપણી આસપાસ ઘણા પ્રસંગો જોવા મળે છે કે જેમાં ધર્મગુરુઓ ની ઈશ્વર ની માફક પૂજા કરવામાં આવે છે.  ગુરુઓ , સંતો , પાદરીઓ આપણને ઈશ્વર વિશે સમજણ આપનાર માધ્યમ હોય છે ઈશ્વર નહીં.  એમને માન આપવું એ નિઃસંદેહ જરૂરી છે.  વિવેકાનંદે પોતાના ગુરુ ની યાદ માં રામકૃષ્ણ મિશન ની સ્થાપના કરી અને એના દ્વારા ઘણા  ચેરિટી ના કાર્યો પણ કરાવવામાં આવે છે.  પણ એમણે પોતાનો કોઈ અલગ ધર્મ સ્થાપ્યો નહોતો કે રામકૃષ્ણ ના નામથી કોઈ અલગ પંથ સ્થાપ્યો નહોતો.  વિવેકાનંદ સનાતન હિન્દૂ ધર્મ ના પ્રચારક જ રહ્યા.  ગુરુ અને ઈશ્વર બંને અલગ છે.  ગુરુ નો ઉદ્દેશ્ય પોતાના શિષ્યો  ને ઈશ્વર ની નજીક લઇ જવાનો હોય છે.  પોતે જ ઈશ્વર છે એવો પ્રભાવ પાડવાનો નહીં.  ગુરુ ની પ્રતિમા તેમના ઇષ્ટદેવ થી પણ મોટી બની જાય ત્યારે ધર્મ નું મૂળ અસ્તિત્વ કેમ રહે?  એ ધર્મ મટીને વ્યક્તિ પૂજા કે વ્યક્તિ વિશેષ પંથ બની જાય.  અને ધીરે ધીરે જે તે ગુરુ ને ભગવાન રૂપે સ્થાપિત કરવાના પ્રયાસો થવા લાગે.  આપણી આસપાસ માં આવા ઘણા ઉદાહરણો જોવા મળશે જ્યાં ગુરુ / ધર્મગુરુ પોતાને ઈશ્વર સાથે સરખાવતાં હોય કે ઈશ્વર નો અવતાર જ સમજતા હોય.  

જો કે આસ્થા નો હોય વિષય ત્યાં પુરાવા ની શી જરૂર છે - એટલે આપણે આપણી શ્રદ્ધા થી જે ને અનુસરીએ એના પુરાવા માંગતા નથી.  અને અડગ શ્રદ્ધા હોય ત્યાં ચમત્કારો પણ આપોઆપ સર્જાતા હોય છે.  એટલે જ તો ધર્મગુરુઓ ને ઘણી વાર ઈશ્વર સમકક્ષ મૂકી દેવાતા હોય છે.  મારા અંગત મતે આ બાબત બિલકુલ પુરેપુરી અંગત પસંદગી અને માન્યતા નો વિષય છે.  ધાર્મિક સ્વતંત્રતા વ્યક્તિ સ્વાતંત્ર્ય નો એક મોટો હિસ્સો છે.  માટે તમે ને હું પોત પોતાના પસંદગી ના ધર્મ / પંથ / ગુરુ ને અનુસરવા સ્વતંત્ર છીએ.  




Tuesday, 24 January 2023

દુર્ગાવતી દેવી (દુર્ગા ભાભી)

 દુર્ગાવતી દેવી (દુર્ગા ભાભી) - ઓછા જાણીતા સ્વાતંત્ર્ય સેનાની 


બે દિવસ પછી આપણે ભારત દેશ નો ચુંમોતેર મો  પ્રજાસત્તાક દિવસ મનાવવા જઇ રહ્યા છીએ.  આપણા દેશ ને આઝાદી અપાવવામાં  અનેક અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સૈનિકો નો હાથ છે જેમણે  હસતા હસતા પોતાનું ઘર , પરિવાર , પૈસા અને પ્રાણ સુદ્ધા ની આહુતિ આપી દીધી છે.  શહીદ ભગતસિંહ , રાજ્યગુરુ , ચંદ્રશેખર આઝાદ , બિસ્મિલ્લાખાન , ખુદીરામ બોઝ , રામપ્રસાદ બિસ્મિલ , અશફાક ઉલ્લાખાન, પ્રફુલ ચાકી ,  વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, દુર્ગાવતી દેવી  અને મદનલાલ ઢીંગરા . આતો બહુ જ ઓછા નામોની યાદી છે. આ સિવાય તો સેંકડો સ્વાતંત્ર્ય વીરો છે જેમના લોહી થી આ ધરતી રસાળ થઇ કે જેમના અજાણ્યા બલિદાનો એ આપણને સૌને આજે ખુમારી થી જીવવા ને લાયક બનાવ્યા છે.  

આ સ્વાતંત્ર્ય વીરો માં પણ સ્વાભાવિક રીતે જ પુરુષો જ વધુ રહ્યા હતા.  પરંતુ કેટલીક વીરાંગનાઓ એ પણ ખુબ મહત્વ ના ભાગ ભજવી ને સ્વાતંત્ર્ય ના આ યજ્ઞ માં પોતાની  યથાયોગ્ય આહુતિ આપી હતી.  આજે મારે વાત કરવી છે આવી જ એક વીરાંગના દુર્ગાભાભી વિશે . દુર્ગાવતી દેવી જેમને સૌ દુર્ગાભાભી તરીકે ઓળખાતા હતા એમણે જહાલ વાદી ક્રાંતિકારીઓ ને સાથ આપીને ખુબ મહત્વ નું કામ કરેલું.  તેઓ આ બધા ક્રાંતિકારીઓ વચ્ચે ની સંપર્ક ની સાંકળ જેવું કામ કરતા હતા.  


ઈલાહાબાદ જિલ્લા માં 7 ઓક્ટોબર 1907 ના રોજ જન્મેલા દુર્ગાવતી ના પિતા નું નામ પંડિત બાંકે બિહારી હતું.   તેમના દાદા પંડિત શિવશંકર શાહઝાદપૂર ના જમીનદાર હતા.  અને દુર્ગાવતી તેમને ખુબ વ્હાલા હતા ,નાનકડી  દુર્ગા ની લગભગ બધી માંગણીઓ દાદા પુરી કરતા.  જો કે એ સમય ની પ્રથા પ્રમાણે માત્ર દસ વર્ષ ની ઉંમરે દુર્ગાવતી દેવી ના લગ્ન કરી દેવામાં આવ્યા હતા.  દુર્ગા ના પિતા બાંકે બિહારી અંગ્રેજ સરકાર માં કલેક્ટર ઓફિસ માં નજીર ના પદ પર નોકરી કરતા હતા.  દુર્ગાવતી ના લગ્ન જેમની સાથે થયા તે ભગવતીશરણ બોહરા પણ ક્રાંતિકારી હતા. દુર્ગાવતી ના સસરા લાહોર માં રેલવે માં ઊંચા પદ પર નોકરી કરી રહ્યા હતા.  અને અંગ્રેજો એ એમને 'રાય સાહેબ' નો ખિતાબ પણ આપ્યો હતો.  

દુર્ગાવતી દેવી ના પતિ ભગવતી શરણ બોહરા ઘણા જ સક્રિય  ક્રાંતિકારી હતા તેઓ 'હિન્દુસ્તાન સોસિઓલીસ્ટ રિપબ્લિકન એસોસિયેશન' ના મુખ્ય માણસ કહો કે  માસ્ટર બ્રેન હતા.  તેઓ બૉમ્બ બનાવવા માં અત્યંત કુશળ હતા.  આમ તો એમના વિશે એક અલગ લેખ લખી શકાય તેવું તેમનું વ્યક્તિત્વ હતું પરંતુ આજે આપણે એમના ધર્મપત્ની વિશે જાણીયે.  

બધા ક્રાંતિકારીઓ ની પત્નીઓ પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ માં સક્રિય હોય કે કમસેકમ સાથ આપતી જ હોય એવું પણ ન બનતું હોય તેવા સમયે દુર્ગાવતી  દેવી એ ખાલી સાથ જ ન આપ્યો પણ પોતાની બુદ્ધિ ક્ષમતા થી અંગ્રેજો ની આંખ માં ધૂળ નાખીને અનેક ક્રાંતિકારી પ્રવૃતિઓ ને સફળ બનાવવામાં ખુબ મોટો ફાળો પણ આપ્યો.  દુર્ગાવતી દેવી પોતે પણ બૉમ્બ બનાવતા પતિ પાસેથી શીખી ગયા અને બનાવવા પણ લાગ્યા હતા.  એમણે લાહોર અને કાનપુર માં રહીને બંદૂક ચલાવતા પણ શીખી લીધું હતું.  તેમણે અંગ્રેજ ગવર્નર હેલી ઉપર ગોળી ચલાવી હતી. એના  નસીબે એ બચી ગયો પણ અન્ય એક સૈન્ય અધિકારી ટેલર ઘાયલ થઇ ગયો. મુંબઈ ના પોલીસ કમિશનર ને પણ દુર્ગાભાભી એ ગોળી મારી હતી.  પોતાના પતિ ભગવતી શરણ ને દરેક કામ માં  દુર્ગાવતી દેવી સાથ આપતા હતા.  તેમની પ્રવૃતિઓ ના ભાગરૂપે સાથી ક્રાંતિકારીઓ ની તેમના ઘરે ખુબ આવજાવ રહેતી અને દુર્ગાવતી દેવી એ બધા નવલોહિયા ઓ ને પ્રેમ પૂર્વક જમાડતા અને સાચવતા એટલે જ એમને 'ભાભી'  નું ઉપનામ મળ્યું હતું. 

આ બધા નો સંદેશાવ્યવહાર ભાભી ના માધ્યમ થી થવા લાગ્યો હતો અને  ધીમે ધીમે દુર્ગાવતી દેવી સામાન હથિયાર વગેરે ની હેરફેર પણ કરવા લાગ્યા હતા.  ચંદ્રશેખર આઝાદ એ અંગ્રેજ સામે લડતી વખતે જે બંદૂક થી પોતાને ગોળી મારી હતી એ બંદૂક દુર્ગાવતી દેવી એ જ લાવી આપી હતી.  ભગત સિંહ ને કોલકાતા ના કોંગ્રેસ ના અધિવેશન સુધી પહોંચાડવા માટે દુર્ગાવતી દેવી એ નાટકીય રીતે વ્યૂહરચના ઘડી અને વેશપલટો કરીને ભગતસિંહ , રાજ્યગુરુ અને આઝાદ ને સહી સલામત કોલકાતા પહોંચાડીને આપણા દેશ ના મહાન ક્રાંતિકારીઓ નો જીવ બચાવ્યો હતો.  એ લોકો ને લાહોર થી ટુકડે ટુકડે મુસાફરી  કરીને કોલકાતા પહોંચાડ્યા હતા જયારે લાહોર રેલવે સ્ટેશન ઉપર પાંચસો જેટલા પોલીસો તેમને પકડવા તૈયાર હતા.  અને કોલકાતા રેલવે સ્ટેશન ઉપર પણ પોલીસ જવાનો તેમને પકડવા તૈયાર ઉભા હતા.  દુર્ગાવતી દેવી ની સમય સુચકતા અને હોશિયારી થી એ લોકો સહી સલામત ગંતવ્ય સ્થળે પહોંચી શક્યા હતા.  જો કે બદનસીબે દુર્ગાવતી દેવી ને આઝાદી પછી પણ તેમના કાર્યો માટે ક્યારેય સન્માન મળવા પામ્યું ન હતું.  

ભગતસિંહ અને સાથીદારો ને પકડાયા બાદ ફાંસી ની સજા જાહેર થઇ ત્યારે પણ દુર્ગાવતી દેવી અને તેમની નણંદ સુશીલા દેવી એ પોતાના બધા જ ઘરેણાં વેચીને વકીલ ની ફી ભરીને ભગતસિંહ અને સાથીદારો ને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.  તેમણે ગાંધીજી ને પણ લેખિત અને મૌખિક વિનંતીઓ કરી હતી કે ભગતસિંહ ની ફાંસી માં માફી આપવા માટે તેઓ અંગ્રેજો ને દબાણ કરે પરંતુ એવું બન્યું નહીં.  એમના પતિ ભગવતી શરણે એ લોકો ને છોડાવવા બૉમ્બ થી વિસ્ફોટ કરવાની  યોજના બનાવી હતી અને એના પરીક્ષણ દરમ્યાન ભૂલથી વિસ્ફોટ થઇ જતા તેઓ મૃત્યુ પામ્યા.  એ સમય હતો 1930 નો મે મહિનો.  દુર્ગાવતી દેવી ને ખુબ આઘાત લાગ્યો.  એમ છતાં જેમ તેમ કરીને તેઓ પોતાનાથી શક્ય પ્રવૃતિઓ કરતા રહ્યા, ત્રણ વર્ષ જેલવાસ પણ ભોગવ્યો.  પરંતુ ધીમે ધીમે કરતા બધા જ ક્રાંતિકારીઓ નો સાથ છૂટતો ગયો.  અને તેમના બાળકો પણ મોટા થવા લાગ્યા અંતે 1935 માં તેમણે ગાઝિયાબાદ ગમન કર્યું અને શિક્ષક તરીકે નોકરી પણ કરી એ દરમ્યાન બે વર્ષ  કોંગ્રેસ માં પણ સભ્ય રહ્યા પરંતુ પછી કોંગ્રેસ છોડી દીધી.  પછીથી મોન્ટેસરી સિસ્ટમ ની ટ્રેનિંગ લઈ. એના વર્ગો શરુ કર્યા.  


આઝાદી પછી છેક 1956 માં નહેરુજી ને એમના વિશે ખબર પડતા એ દુર્ગાવતી દેવી ને મળ્યા હતા અને મદદ કરવા તૈયારી બતાવી હતી એવું કહેવામાં આવે છે. પરંતુ દુર્ગાવતી દેવી એ વિનમ્રતા થી ના પડી અને આ બધા થી દૂર રહીને જીવન પસાર કર્યું.  સન 1999 માં તેઓ અવસાન પામ્યા. પરંતુ આપણે સૌ તેમના વિશે ઘણું જ અલ્પ માત્રા માં જાણીયે છીએ.  

રાષ્ટ્ર માટે પોતાનું તન, મન, ધન , જીવન અને સઘળું જ સમર્પિત કરી દેનાર આવા ઘણા સ્વાતંત્ર્ય વીરો કાળ ના ચક્ર માં ધરબાઈ ગયા હશે.  દુર્ગાભાભી જેવી બીજી પણ વીરાંગના ઓ હશે જેમણે ઘર પરિવાર ના ભોગે માતૃભૂમિ માટે સર્વસ્વ લૂટાવ્યું હશે અને જેમની કોઈ તખ્તી , સ્મારક કે નિશાનીઓ સાચવવા માં નથી આવ્યા.  આજે ગણતંત્ર દિવસ ના શુભ અવસરે આવા અનેક સ્વાતંત્ર્ય વીરો ને આપણા નમન.  




Tuesday, 10 January 2023

પ્રવાસ કે ફોટો સેશન

 પ્રવાસ કે ફોટો સેશન 


ગયા અઠવાડિયે આપણે લાઈફ ની પ્રીયોરીટી ની વાત કરી.  એના મને ઘણા ફીડબેક મળ્યા.  તેમાં એક ફ્રેન્ડે જણાવ્યું કે તેઓ ના એક જાણીતા ભાઈ ને ફોટોગ્રાફી નો એટલો બધો શોખ છે કે કોઈપણ જગ્યા એ જાય એટલે એ જગ્યા નો ખરો આનંદ માણવા ના બદલે  તે જગ્યા એ  સેંકડો ફોટાઓ પાડવા માં જ સમય વિતાવે.  તેમના ફેમિલી મેમ્બર્સ તેમની આ ટેવ થી કંટાળી જાય.  ફોટોગ્રાફી નો શોખ હોવો ખરાબ વસ્તુ નથી.  જેમને શોખ હોય એ લોકો ને ફોટોગ્રાફી કરવાનું મન થઇ જાય એ સ્વાભિક છે પણ અતિશયોક્તિ તો કોઈ પણ વસ્તુ ની ખરાબ જ છે.  આપણે પરિવાર સાથે આનંદ નો સમય પસાર કરવા પ્રવાસ માં ગયા હોઈએ ત્યારે પરિવાર ની અપેક્ષા હોય કે આપણે આપણો પૂરતો સમય એમની સાથે રહીયે.  સિમલા ના વોક વે પર પતિ પત્ની સાંજે ફરવા નીકળ્યા હોય ત્યારે ચાલતા ચાલતા ખાટી મીઠી વાતો કરતા કરતા બે કલાક ક્યાં પસાર થઇ જાય એ ખબર પણ ન રહે.  પણ ચાલતા ચાલતા દર દસ મિનિટે પતિ કેમેરો કાઢીને સિમલા ના સીન લેવા ઉભો રહી જાય તો પત્ની ને કંટાળો આવવો સ્વાભાવિક  જ છે.  અને એનાથી ઉલ્ટું પણ જોવા મળે છે.  ફરવા જાય ત્યારે સ્ત્રીઓ મન મૂકીને તૈયાર થાય અને પછી એના સેલ્ફી લીધા કરે અથવા પતિને કે બીજા કોઈને ફોટા પાડી દેવા માટે કીધા કરે.  એમાંય વળી યુવતી ઓ ને ફિલ્મ અને સિરિયલો ની પ્રેરણા લઈને નવા નવા પોઝ સુજે અને એવા ફોટા પડાવવા નો આગ્રહ રાખે.  આવું થાય ત્યારે એક સમયે એવો વિચાર આવી જાય કે તમે અહીં પ્રવાસ માં ફરવા આવ્યા છો કે ફોટા પડાવવા.  વળી પ્રવાસ ના દરેક સ્થળે જુદા જુદા કપડાં જ જોઈતા હોય કારણ કે બધા ફોટા માં એકસરખા કપડાં ન આવવા જોઈએ.  એનો મતલબ એમ કે તમારે કપડાં પણ ઢગલો લઈને જવું પડે.  અને ઉપરથી જ્યાં ગયા હોય ત્યાં થી ખરીદી કરવામાં આવે એ જુદું.  એટલે પ્રવાસ માં થી પાછા ફરતી વખતે ડબલ વજન સહન કરવાની તૈયારી રાખવી પડે.  જો કે નવપરિણીત યુગલ ને આ બધામાં બાદ કરવા જોઈએ કારણકે એ સમયે નવોઢા સુંદર તૈયાર થઈને પોતાના પતિ સમક્ષ રહેવા માંગતી હોય એ સ્વાભાવિક છે.  

     

બાકી અન્યો માટે ખરી રીતે તો પ્રવાસ માં જતી વખતે ઓછામાં ઓછો સમાન સાથે રાખવો જોઈએ.  આપણે ફરવા જઇયે ત્યારે તે જગ્યા ની સુંદરતા , મહત્તા ત્યાંનું સ્થાનિક સામાજિક જીવન આ બધું જોવા માણવા જતા હોઈએ છીએ.  એ સમયે આપણા કપડાં અને ફોટો ગ્રાફી ને મહત્વ આપીને આપણે તે સ્થળ ને માણવા નો સમય વેડફી નાખીયે છીએ.  અરે સમય તો ઠીક પણ આજકાલ કેટલાક યુવાનિયા ઓ ફોટોગ્રાફી ની ઘેલછા માં જીવન પણ ગુમાવી રહ્યા છે.  ખતરનાક જગ્યા ઓ ઉપર સેલ્ફી લેતી વખતે પાણી માં પડી જવું કે પહાડો ઉપર થી પડી જવું જેવા બનાવો બની રહ્યા છે.  મુંબઈ ની લોકલ ટ્રેન માં આવી જ રીતે ચાલુ ટ્રેન માથું વિડીયો બનાવતી વખતે ખતરનાક સ્ટન્ટ કરવા જતા  જીવન ગુમાવનાર યુવાન નો વિડીયો પણ ખુબ હાઈલાઈટ થયો હતો.  

પરિવાર કે મિત્રો સાથે ફરવા જતી વખતે યાદગીરી રૂપે ફોટો અને વિડીયો બનાવવા ખોટું નથી.  પણ બસ એની અતિશયોક્તિ ન હોવી જોઈએ.  આપણે ફોટા પડાવતી વખતે મગજ માં એવો વિચાર રાખીયે કે આ ફોટો લોકો ને બતાવીને એટલે કે સ્ટેટ્સ માં મૂકીને હું આવું જતાવીશ અથવા તો ફલાણા લોકો ને ઈર્ષા કરાવીશ તો એનો મતલબ એ થયો કે ફરવાના સ્થળે નિજાનંદ કરવાના બદલે તમે બીજા લોકો વિષે મગજ માં વિચારો છો.  ખરી રીતે આપણે ફોટોગ્રાફ એટલે રાખતા હોઈએ કે વર્ષો પછી એ ફોટા જોઈને આપણે આપણા જુના પ્રવાસ ને ફરીથી યાદ કરીને ખુશી  મેળવી શકીયે.  પણ હાલ માં સોશિઅલ મીડિયા પર પોતાની સારી નરસી દરેક બાબતો નું પ્રદર્શન કરવાની હોડ માં લોકો ફોટા પાડવા ઉતાવળા થાય છે અને પછી એને સ્ટેટ્સ માં મુકવા ઉતાવળા થાય છે.  મોટા શહેરો માં ઘર ના નોકરો અને જાણભેદુ દ્વારા થતી ચોરી માં આવા ફોટા શેરિંગ નો પણ મોટો ફાળો છે.  કારણ કે એ લોકો સોશિઅલ મીડિયા દ્વારા જાણી જાય છે કે આ ફેમિલી ટુર માં આ જગ્યા એ ગયું છે અને એનો એ લોકો ગેરફાયદો ઉઠાવે છે.  આથી ટુર ઉપર હોઈએ ત્યારે ક્યારેય ફોટા મુકવા જોઈએ નહીં.  ટુર પતાવીને ઘરે પાછા આવીને ટુર નું સંક્ષેપ વર્ણન કરતા થોડા ફોટા મૂકી દેવાય જેથી ઘરફોડ જેવા સંકટો ટાળી શકાય.  

ફોટા પડાવવાની ઘેલછા પાછળ નું કારણ પોતાની જાત પ્રત્યે ની ઘેલછા હોય છે.  પોતાની જાતને સુંદર જોવાની અને બીજાની પાસે સુંદર દેખાવા ની  મનોકામના આ ફોટોગ્રાફી ની લત માં પરિણમે છે.  પહેલાનો સમય એવો હતો જયારે ફોટોગ્રાફી પૈસાવાળા નો શોખ ગણાતો હતો કારણકે મોંઘા કેમેરા , મોંઘા રોલ અને મોંઘુ એનું પ્રિન્ટિંગ.  જયારે આજે ડિજિટલ જમાના માં મોબાઈલ ફોટોગ્રાફી એ ઘર ના દરેક મેમ્બર ને ફોટોગ્રાફર બનાવી દીધા છે.  હવે તો મોબાઈલ સુદ્ધા એના કેમેરા ની ક્વોલિટી થી વેચાય છે.   એટલે ફોટોગ્રાફ્સ નો સમુદ્ર ઉમટ્યો છે.  જો કે અગાઉ કહ્યું એમ કોઈ પણ વસ્તુ ની અતિશયોક્તિ સારી નથી.  પ્રવાસ ના સ્થળો તમારા દિમાગ માં કેદ થવા ના બદલે કેમેરા માં કેદ થાય એ બદનસીબી કહેવાય.  ખરું જોતા હનીમૂન અથવા પરિવાર સાથેની ટુર આપણા સંબંધોને ઘટ્ટ બનાવવા માટે હોવા જોઈએ અને એના માટે કેમેરા જેવી ત્રીજી વસ્તુ વચ્ચે ન આવે તો જ નજીક રહેવાની દરેક ક્ષણ ઉર્જા આપી શકે.  




Tuesday, 3 January 2023

જીવન ની પ્રાથમિકતા

 લાઈફ માં પ્રાથમિકતા નક્કી કરતા શીખો 


તેજસ અને શ્રેયા લગ્ન પછી કુળદેવી ના દર્શને ગયા.  તેમના કુળદેવી નું ગામ તેમના વતન થી ચારસો કિમી દૂર આવેલા નાના ગામમાં હતું.  ત્યાં જવા આવવા ની બહુ ઓછી બસો મળતી હતી. એટલે તે ગામ ના બસ સ્ટેશને ઉતારીને  મંદિરે પહોંચતા પેહલા જ પાછા ફરવાની બસ નો સમય પૂછી લીધો હતો.  પછી એ લોકો મંદિરે બધું પતાવીને નીકળ્યા ત્યારે તેજસે માતાજી ના 4,5 ફોટા મંદિરે થી ખરીદ્યા અને સાંજ પડતા છેલ્લી બસ નો ટાઈમ થઇ ગયો.  એ લોકો ફટાફટ રીક્ષા માં બેઠા પણ ત્યાંજ  તેજસ ને અચાનક યાદ આવ્યું કે હજી એક ફોટો લેવાનો રહી ગયો.  તેણે રીક્ષા પાછી વળાવી , શ્રેયા એ દબાતા સ્વરે કહ્યું પણ ખરા કે બસ નીકળી જશે તો હેરાન થઈશું , પણ તેજસે કહ્યું કે ના ના ફોટા વગર જવાય જ નહીં.  અંતે 10 મિનીટ  બગાડી ને સ્ટેશને પહોંચ્યા તો બસ ખરેખર નીકળી ગઈ હતી.  અહીં વાત ધાર્મિક વૃત્તિ ની નથી પણ સમય અનુસાર લાઈફ ની પ્રાયોરિટી - પ્રાથમિકતા નક્કી કરવાની છે.  

આપણી લાઈફ માં યોગ્ય સમયે લીધેલા નિર્ણય નું બહુ મોટું મહત્વ રહેલું છે.  પરિસ્થિતિ પ્રમાણે ઘણી બધી વખત આપણા સૌની સાથે એવું બનતું હોય છે કે એકસાથે બે કે વધુ કામ કે નિર્ણયો લેવા ના હોય અને એ સમયે પ્રાથમિકતા અનુસાર જો યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ કરવામાં આવે તો આપણી ઉત્પાદકતા ચોક્કસ વધી જાય.  કોઈ પણ કામ હાથ માં લેતા વખતે જ આપણે એના માટે ટાઈમ પિરિયડ નક્કી કરી લેવો જોઈએ.  સમજો કે એનું મીની ટાઈમટેબલ મગજ માં તૈયાર કરી લેવું જોઈએ. એવું કરવાથી એ કામ પૂરું કરવાનો સમય આપણા મગજ માં સેટ થઇ જશે અને આપણે કામ ને યોગ્ય ન્યાય આપી શકીશું તેમજ તેના પછી બચતો સમય આપણે  બીજા ઉપયોગ માં લઇ શકીશું.  મેં ઘણીવાર જોયું છે કે ફરવાના સ્થળો ઉપર કેટલાક લોકો શોપિંગ કરવામાં અને ખાવા પીવા માં એટલો બધો સમય ખર્ચ કરી નાખે છે કે ખરેખર ફરવાનો સમય અને મોકો ચાલ્યો જાય  છે. શોપિંગ કરવા જઇયે તો શરૂઆત માં જ નક્કી કરી લેવું જોઈએ કે અપને ત્રીસ મિનિટ કે એક કલાક માં શોપિંગ પૂરું કરી દઈશું.    ફરવાના કુદરતી સ્થળો ઉપર સમય ની બહુ અગત્યતા હોય છે.  હિલ સ્ટેશન ઉપર સન સેટ જોવા ગયા હોઈએ અને આપણે ફોટા પાડવામાં અને શીંગ , ચણા મકાઈ ખાવામાં એવા મશગુલ થઇ જઇયે કે સૂર્યાસ્ત નો એ પાંચ મિનિટ નો અમૂલ્ય સમય ખોઈ બેસીયે.  પછી એનો અફસોસ કરીયે કે બીજા લોકો માં હાંસી પાત્ર બનીયે તો એનો કોઈ અર્થ રહેતો નથી.  

આપણે આપણા મગજ ને એક કેળવણી  આપવી જોઈએ કે દરેક પળે એ નક્કી કરી શકે કે આમાં અગત્ય નું શું છે. ક્યારેક લોકો ને ઈગો ના કારણે સારું સારું કામ બગાડતા જોયા છે.  "મેં કહી દીધું ને એટલે આમજ થવું જોઈએ પછી ભલે એની પાછળ નુકસાન થાય" . આવો એટીટ્યુડ માણસ ના પોતાના માટે અને પોતાની આસપાસ ના બીજા લોકો માટે બહુ નુકસાનકારક સાબિત થાય છે.  સમય પ્રમાણે આપણા જીવન ની પ્રાથમિકતા બદલતી રહેતી હોય છે.  એ પ્રત્યે આપણે સજાગ રહેવું જ જોઈએ. અને એ પ્રમાણે આપણી દિનચર્યા અને અપેક્ષા ઓ માં ફેરફાર કરતો રહેવો જ જોઈએ.  મારુ પસંદગી નું અંગ્રેજી માં એક સુવાક્ય છે . "ધેર ઇસ નથીંગ લાઈક બીઝીનેસ , ઇટ્સ ઓલ અબાઉટ પ્રાયોરિટી". એટલે કે અતિ વ્યસ્તતા જેવું કશું હોતું નથી જે હોય છે એ પ્રાથમિકતા જ હોય છે.  

આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ટાઈમ મેનેજમેન્ટ માં ગુરુ કહી શકાય એટલા બધા ગણતરી વાળા છે.  હમણાં જ આપણા વિદેશ મંત્રી શ્રી એસ જયશંકર ની એક મુલાકાત જોઈ હતી જેમાં એમણે વર્ણન કર્યું હતું કે મોદીજી એ એક વખત 3,4 દિવસ માં ચાર દેશ અને પંદર થી પણ વધુ મિટિંગો કરી હતી.  તેઓ પોતાના 24 કલાક ના દિવસ ના ભાગ પાડી દે છે જેમાં એમનો ચાર કલાક નો સુવાનો સમય બાદ કરીને બાકીનો બધો સમય કામ માં લગાવે છે.  મુસાફરી દરમિયાન જમવાનું અને ઓનલાઈન મિટિંગો પ્લેન માં જ પતાવે છે.  તેઓ પોતાની 24 કલાક ના ભાગ એવી રીતે પડે છે કે સૌથી અગત્ય નું કામ સૌથી પહેલા હાથ માં લેવું અને એ બધું તેઓ જાતે જ નક્કી કરે છે.  બાકી તો ઘણી કંપનીઓ ના મલિક કે મેનેજરો ની મિટિંગ અને કામ ના શિડ્યુલ તેમના પી એ નક્કી કરતા હોય છે.  આવી નાની નાની ચોકસાઈ જ આપણને ટોચ ઉપર લઈ જતી હોય છે.  

આપણી રોજબરોજ ની જિંદગી માં નાના દેખાતા નિર્ણયો પણ પ્રાથમિકતા ની કસોટી  કરી લેતા હોય છે.  મધ્યમ વર્ગ ની વ્યક્તિ પાસે ચાર પાંચ હજાર નું બોનસ અચાનક આવી જાય અને એનો ઉપયોગ એ કેવી રીતે કરે છે એનું આપણે નિરીક્ષણ કરીયે તો સમજાઈ જાય કે એ વ્યક્તિ ભવિષ્ય માં કેટલી પ્રગતિ કરશે.  ઘણા લોકો થોડાક પૈસા ક્યાંકથી મળી આવે એટલે તરત એમાંથી સ્માર્ટ ફોન , સ્માર્ટ વોચ કે મોંઘા ઈયર ફોન વગેરે લેવા માટે તેનો ઉપયોગ કરી નાખશે. કોઈક વ્યક્તિ એમાંથી ઘર માં ખૂટતી કોઈ વસ્તુ વસાવશે , કોઈક એની પુરેપુરી બચત કરીને બેન્ક માં મૂકી દેશે.  કોઈ એનું સારા ફાઈનેન્સીસલ  પ્લાન માં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખશે.  આ બધી બાબતો દર્શાવે છે કે તમારા જીવન ની પ્રાથમિકતા તમે કેવી નક્કી કરો છો.  અને એના જ ઉપર થી તમારા આવનારા જીવન ની દિશા નક્કી થતી હોય છે.  

અને એટલે જ જીવન માં ડગલે ને પગલે આપણે પ્રાયોરિટી ને ઓળખાતા અને સેટ કરતા શીખવું જ જોઈએ.