Read Blog in other languages like - Hindi, English

Tuesday, 27 December 2022

કોને કહું , મારા મન ની વાત

 કોને કહું , મારા મન ની વાત 


શાલીન સાંજે ઘર માં આવ્યો ત્યારે પૂર્વા બેડરૂમ માં બેસીને કોઈની સાથે ફોન માં વાતો કરી રહી હતી.  પહેલા તો હસી હસી ને વાતો કરતી હતી પણ શાલીન કપડાં બદલવા બેડરૂમ માં આવ્યો એટલે એને જોઈને મૂડ બદલાઈ ગયો. શાલીન સાંભળે એવી રીતે ફોન માં બોલવા લાગી કે "આપણી તો ઘર માં કોઈ વેલ્યુ જ નથી હોતી.  આપણે બધાને સાચવી સાચવી ને તૂટી જઇયે પણ લોકો ને આપણી કઈ પડી જ નથી હોતી.  આપણી ઈચ્છાઓ તો મારી જ નાખવાની.  આપણને ક્યાં કોઈ હક જ છે.  "   આવું તો ઘણું ય બોલી.  શાલીન સાંભળતો હતો.  એને ઘણો ગુસ્સો આવ્યો.  એણે ગુસ્સાથી પૂર્વા ની સામે જોયું અને બહાર આવવાનો ઈશારો કરીને બહાર રૂમ માં જતો રહ્યો.  

પૂર્વા એ ફોન બંધ કર્યો અને બહાર ના રૂમ  માં આવી. એને જોતા વેંત જ. શાલીન ઉકળી પડ્યો કે "આ બધું શું માંડ્યું છે - તું આ બધુ કોને સંભળાવી રહી હતી.  તને શું તકલીફ છે. " પૂર્વા પણ ગુસ્સામાં આવી ગઈ અને બોલવા લાગી કે તમને બધે મારા વાંક જ દેખાય છે.  હું તમને ગમતી જ નથી મારા ઘર ના તમને ગમતા જ નથી વગેરે વગેરે.  ... આ સાંભળીને તો શાલીન નો ગુસ્સો વધુ ઉકળ્યો , કે આમાં તારા ઘર ના ક્યાં આડા આવ્યા અને તકલીફ શું છે એ બોલ. " પછી પૂર્વા એ કીધું કે કાલે કઈ તારીખ હતી.  શાલીને કહ્યું "તારીખ ને માર ગોળી તું સીધી વાત કર." એટલે પૂર્વા એ કહ્યું કે ગઈ કાલે એના ભાઈ ની પહેલી એનિવર્સરી હતી અને પૂર્વા એ અગાઉથી શાલીન સાથે વાત કર્યા મુજબ એ બંને તરફ થી પૂર્વા ના ભાઈ ભાભી ને હોટેલ માં જમવા લઇ જવાના હતા.  શાલીન થોડો છોભીલો તો પડી ગયો પણ એણે કહ્યું કે એવું હતું તો પૂર્વા એ શાલીન ને કાલે સવાર માં કહી દેવાય ને.  તો પૂર્વા એ કહ્યું કે હું જોવા માંગતી હતી કે તમને યાદ છે કે નહીં મારા ભાઈ નું તમારા માટે કેટલું મહત્વ છે.  

બસ પછી તો બંને વચ્ચે આક્ષેપો પ્રતિઆક્ષેપો ની વણજાર ચાલી અને ઉગ્ર ઝગડો કરીને બંને જમ્યા વગર જ સુઈ ગયા.  

ઘણા બધા પતિ પત્ની વચ્ચે આવા સંવાદો અને આવા ઝગડા ઓ જોવા મળતા હોય છે.  ઘણી સ્ત્રીઓ ની આવી આદત જોવા મળતી હોય છે કે પોતાના ઘર ની કે પોતાના પતિ ની ફરિયાદ પોતાની બેન કે બેનપણી ઓ ને કરતી હોય. બીજા ને અંગત વાત કહેવી કેટલી વ્યાજબી છે એ સમજી વિચારીને લેવાનો નિર્ણય હોય છે.  પતિ પત્ની વચ્ચે ની વાત બની શકે ત્યાં સુધી તેમની વચ્ચે જ રહે તે સૌ થી ઉત્તમ બાબત છે.  દુનિયા ની મોટા ભાગ ની સ્ત્રીઓ ની ફરિયાદ હશે કે એમના પતિ,  પત્ની ઓ એ કહેલી વાત ભૂલી બહુ જાય છે.  તો જયારે આ બાબત જ વિશ્વ વ્યાપી છે, ત્યારે સ્ત્રીઓ એ સમજવું જ જોઈએ કે પુરુષો નું આવી બાબતો નું ભૂલી જવું એક કુદરતી સ્વભાવ છે.  એના થી ચિડાવા ના બદલે એમને યાદ અપાવી દેવાથી પ્રશ્ન નું નિરાકરણ આવી જશે.   ઉપર ની ઘટના માં જોઈએ તો પૂર્વા એ શાલીન ને આગળ ના દિવસે સવારે હળવે થી યાદ અપાવી દીધું હોત કે આપણે આ પ્રોગ્રામ કરવાનો છે તો આવી કોઈ માથાકૂટ રહેત નહીં.  કારણ કે આ કિસ્સા માં શાલીન નો ઈરાદો પોતાની પત્ની ને દુઃખી કરવાનો કે પોતાના સાળા ને અપમાનિત કરવાનો ન હતો.  એ માત્ર ભૂલી ગયો હતો. 

પતિ પત્ની વચ્ચે આવી ઘણી બાબતો બનતી રહેતી હોય છે જેમકે પત્ની ની તબિયત નરમ  હોય પણ એ કોઈ ને કહે નહીં અને ઘર નું રૂટિન કામ કરતી રહે.  પણ મન માં અપેક્ષા રાખે કે  પતિ એનું મોઢું જોઈને સમજી જાય કે પત્ની ને કૈક તકલીફ છે.  બનતું હોય એવું કે પતિ મહાશય ને જરાય અંદાજ જ ન આવે કે એની રાણી સાહેબ બીમાર છે.   એ  જરાય પૂછે નહીં અને પછી ધીરજ ખૂટે ત્યારે રાણી સાહેબ રોઈ પડે અથવા ઝગડો કરે.  આવા સમયે જો પત્ની એ પહેલા જ કહી દીધું હોય કે એની તબિયત નરમ છે તો પતિ એની સંભાળ લઇ શકે.  ટૂંક માં પતિ કે પત્ની એ એકબીજા માટે ની અપેક્ષા , લાગણી , ગુસ્સો ને પ્રેમ બધું જ સૌ પ્રથમ એકબીજા ને જ કહેવું જોઈએ.  મોટાભાગે એમાંથી સોલ્યુશન થઇ જ જાય. અત્યારે આપણે  સ્ત્રીઓ ના પ્રશ્નો ની જ વાત કરી રહ્યા છીએ એટલે એ બાજુ પર જ વિચાર કરીયે.  (પુરુષો ના મન ની વાત ફરી ક્યારેક ). 


બીજા કિસ્સાઓ એવા પણ હોઈ શકે કે જ્યાં બંને વચ્ચે ખરેખર કોઈ પ્રોબ્લેમ હોય. ઘણી વાર કોઈ પુરુષો ખરેખર પત્ની ની કેર ન કરતા હોય , તેમને મહત્વ ન આપતા હોય એવું બને.  તો આવા સંજોગો માં પણ પતિને ને પોતાના મન ની વાત સૌ પહેલા જણાવવી ને સમજાવવી જોઈએ.  એમ છતાં એ ધ્યાન ન આપે તો પતિ ની નજીક હોય ને ઘર ની હિતેચ્છુ હોય એવી વ્યક્તિ ને વાત કરવી જોઈએ જેથી પ્રશ્ન નું નિરાકરણ આવી શકે.  સ્ત્રીઓ ને સામાન્ય રીતે આદત હોય છે પોતાની નજીક ની બહેનપણી પાસે પોતાની વ્યથા ઠાલવવાની.  બહેનપણી ને કહેવામાં બીજો કોઈ વાંધો તો નથી પણ એનાથી પ્રશ્ન નું નિરાકરણ આવતું નથી અને તમારી બેનપણી ના મન માં તમારા પતિ અને સાસરિયા  વિશે નેગેટિવ છાપ પડે છે.  વળી બેનપણી જો પાડોશી હોય તો સંભવ છે કે ભવિષ્ય માં તમારા સંબંધો માં નબળાઈ આવે તો એ કેટલીક વાતો બીજાને પણ કહી દે.  તમારી અંગત વાતો જયારે મસાલા સ્ટોરી ની જેમ ચર્ચાવા લાગે ત્યારે સ્વાભાવિક છે કે તમને આઘાત લાગે.  આથી જો સમયસર સમજણ વાપરી ને સંવાદ કરવામાં આવે તો મોટાભાગે પ્રશ્નો જ ઉકેલાઈ જતા હોય છે અને કુટુંબ ની પ્રતિષ્ઠા પણ જળવાઈ રહેતી હોય છે.  


અસામાન્ય સંજોગો , ગંભીર બાબતો કે અપવાદરૂપ કિસ્સાઓ હોય જ છે, જેમાં બહાર ના લોકો અને કાયદા નો સહારો પણ લેવો પડે પરંતુ ઘર ના કેટલાક નાના કંકાસો માત્ર આવી ગેર સમજણો ના લીધે ઉભા થતા હોય તો નાનકડા સંવાદ થી એને દૂર કરવામાં વધુ ડહાપણ રહેલું છે.  તમને નથી લાગતું ??   




No comments:

Post a Comment