વેલેન્ટાઈન ડે - અભી ઉમર નહીં હે પ્યાર કી
મિત્તલબેન ના લગ્ન ને તો અઢાર વર્ષ થઇ ગયા અને એમના સમય માં વેલેન્ટાઈન ડે નું આજ ના જેટલું ચલણ n હતું એટલે એમને પતિ પત્ની ને વેલેન્ટાઈન ડે નું ખાસ કોઈ મહત્વ ન હતું પણ આ વર્ષે એમની ટીનેજર દીકરી વેલેન્ટાઈન ડે ના અઠવાડિયા અગાઉ થી જુદા જુદા ડે ની ઉજવણી કરતી હતી તે જોઈને એમને ચિંતા થવા લાગી કે પંદર વર્ષ ની નાની ઉંમરે એમની દીકરી ક્યાંક ચક્કર માં તો નથી પડીને. એમણે દીકરી ને પૂછ્યું પણ ખરું તો એણે કહ્યું કે કોઈ છોકરા નું ચક્કર નથી અમે બસ બેનપણીઓ જ સેલિબ્રેટ કરીયે છીએ. આમ તો મિત્તલબેન ને એમની દીકરી ઉપર પૂરો ભરોસો છે પણ જમાના પ્રમાણે ડર પણ લાગે કે દીકરી ભણવાનું મૂકીને ક્યાંક બીજે ફસાઈ ન જાય.
હાલ ના સંજોગો જોતા મિત્તલબેન અને એમના જેવા ઘણા મા બાપ ને આ ડર લાગે છે. અમુક માં બાપ હાઈ સોસાયટી ના ભ્રમ માં આંખ આડા કાન કરે છે. અને કેટલાક મા બાપ ખરેખર આ બધી બાબતો થી સાવ અજાણ જ હોય છે. પણ મિત્તલબેન જેવા માતા પિતા ની હાલત ચિંતાજનક હોય છે જે લોકો બધું જાણે છે અને પોતાના બાળકો ને ભણાવવા માટે સ્કૂલ , કોલેજ , ક્લાસીસ બધે મોકલવા પણ પડે છે. અને સાથે એ ગેર માર્ગે દોરવાઈ ન જાય એની ચિંતા પણ રહે છે. આપણે ત્યાં છેલ્લા કેટલાક સમય થી વેલેન્ટાઈન ડે નો વિરોધ પણ થઇ રહ્યો છે. કેટલાક સંગઠનો એ દિવસ ને માતાપિતા પૂજન દિવસ તરીકે ઉજવવાની સલાહ આપી રહ્યા છે . હું અંગત રીતે એવું માનુ છુ કે વેલેન્ટાઈન ડે નો વિરોધ કરવા નો કોઈ અર્થ નથી. આપણે ભારતીય લોકો ઉત્સવ પ્રિય પ્રજા છીએ. એટલે એક બીજા રાજ્ય અને ધર્મો ના તહેવારો ઉજવીયે છીએ એવી રીતે જ વિદેશ ના તહેવારો ઉજવવા પણ હરખુડા થઈએ છીએ. અહીં મુખ્ય પ્રોબ્લેમ એ તહેવાર નો નથી પણ એ તહેવાર ના બહાને જે વ્યભિચાર ને ઉત્તેજન મળે છે એ વાંધાજનક છે.
નવરાત્રી તો આપણો સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર છે. છેલ્લા બે ચાર દાયકા માં એનું જે રીતે આધુનિકીકરણ થયું એનાથી આજ વ્યભિચાર નું દુષણ નવરાત્રી માં પણ ફુલ્યું હતું. છેવટે રાતે 12 વાગ્યા ના સમય ની બંધી અને માં બાપ ની જાગૃતતા એ અસર કરી અને હવે એ બાબત માં ઘણો મોટો ફરક આવ્યો છે. તો ખરી વાત એ છે કે વેલેન્ટાઈન ડે ની જાહેર ઉજવણી કદાચ કોઈ રોકી શકે પરંતુ ખાનગી ઉજવણી ઉપર કોઈ કંટ્રોલ ન થઇ શકે. અને ખરું જોતા વયસ્ક યુવાનો જો ઈચ્છે તો ઉજવણી કરી શકતા હોવા જોઈએ. મુખ્ય ચિંતા નાની વયના કિશોર બાળકો ને આ રવાડે ચડતા અટકાવવાની છે. પશ્ચિમ ના દેશો માં પંદર વર્ષ ના બાળકો ડેટિંગ શરુ કરી દે છે અને જાતે કમાવા નું પણ શરુ કરી દે છે જયારે આપણા દેશ માં વીસ બાવીસ વર્ષ સુધી માં બાપ જ બાળકો નો બોજો ઉપાડે છે. અને આપણે ત્યાં ભણવાનું પૂરું થાય નોકરી શરુ થાય પછી જ લગ્ન ની બાબત માં વિચારવામાં આવે છે. એટલે આપણા સંતાનો સારું ભણે એ માટે માતા પિતા ખુબ કાળજી લેતા હોય છે. ઘણા માં બાપ ખુબ જ સંઘર્ષ પણ કરતા હોય છે. આવા સંજોગો માં જો એમના બાળકો ભણવા ના સમયે બાલિશ પ્રેમ જેવી લાગણી ઓ માં તણાઈ જાય અને પોતાની કેરિયર નું નુકસાન કરી બેસે એ કોઈપણ માં બાપ સહન ન કરી શકે.
વીસ બાવીસ વર્ષ ની ઉંમરે પહોંચ્યા પછી , ભણતર પૂરું થયા પછી કોઈ યુવાન પ્રેમ સંબંધ માં બંધાય છે તો એ પરિપક્વ હોઈ શકે. એને આપણે અણસમજુ ન કહી શકીયે. અને અત્યારે જો અવલોકન કરવામાં આવે તો જોઈ શકાશે કે સાથે નોકરી વ્યવસાય કરતા યુવાનો ના સંબંધો માં મેચ્યોરિટી ઘણી હોય છે. એ લોકો દિવાસ્વપ્ન નથી જોતા. મોટે ભાગે બધા પગલાં સમજી વિચારીને લેવા વાળા હશે. પરંતુ પંદર સોળ વર્ષ ના કિશોર બિલકુલ કાચા ઘડા જેવા કહેવાય એમની ઉમર શિક્ષણ મેળવવાની છે. પ્રેમ માં પાડવાની નહિ. આ વાત આપણે માતા પિતા એ આપણા સંતાનો ને સમજાવવાની છે. આપણા ગ્રંથો એ જીવન ને ચાર ભાગ માં વહેચ્યું છે. દરેક ભાગ પચીસ વર્ષ નો. એમાં પ્રથમ પચીસ વર્ષ બ્રહ્મચર્યાશ્રમ એટલે શિક્ષણ મેળવવાના છે. અને બીજા પચીસ એટલે કે પચીસ થી પચાસ વર્ષ ગૃહસ્થાશ્રમ ના છે. એટલે પ્રથમ પચીસ વર્ષ સુધી શિક્ષણ મેળવવાનું અને કેરિયર બનાવવાની. ત્યાર પછી ગૃહસ્થી વિશે વિચારવાનું. જો પંદર સત્તર જેટલી નાની ઉંમરે પ્રેમ ની લાગણી માં વીંટાઈ જાય તો એમાંથી શારીરિક સંબંધ તરફ આગળ વધતા વાર નથી લાગતી. અને ખરી મુસીબત ત્યાર પછી જ શરુ થાય છે. આ બધા સંવેગો નો નશો મગજ ઉપર એટલો હાવી થઇ જાય છે કે બાળકો ભાન ભૂલી જાય. એમનું ભણવાનું મૂકી ને એ લોકો જીવન નું લક્ષ્ય ભૂલી જાય છે. પ્રાચીન કાળ માં ગામ થી દૂર ગુરુકુલો માં રહીને ભણવાનું હતું. જેથી આવા કોઈ અવરોધો વિદ્યાર્થી ને અટકાવી ન શકે. પણ આજે એ શક્ય નથી. હોસ્ટેલ માં મુકવાથી પણ ચિંતા મુક્ત થવાતું નથી. એટલે સીધો રસ્તો એકમાત્ર એ છે કે આપણે ખુદ જ આપણા સંતાનો ને સમજાવવું પડે કે નાની ઉંમરે જ્ઞાન પ્રાપ્તિ સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ માં એણે રસ લેવો જોઈએ નહીં. એ સમજણ જો આપણે એમને આપી શકીયે તો પછી વેલેન્ટાઈન ડે હોય કે ન હોય તમારા બાળકો ને ખરાબ અસર નહીં કરી શકે. આ માટે આપણે પેરેન્ટ્સ આ બાબત માં સ્પષ્ટ હોવા જોઈએ અને બાળકો ઉપર આપણું સતત નિરીક્ષણ પણ રાખવું જોઈશે.

No comments:
Post a Comment